Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી

નવરાત્રિની રાસ રમઝટ
(click here for complete list)

ડૉ. વિવેક મનહર ટેલર – જમુનાનાં જળ

February 21st, 2010

ડૉ. વિવેક મનહર ટેલર / Dr. Vivek Tailor

ગીત

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જઈ રંગાયું એક મોરપીંછ,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા તંઈ સર્જાઈ
ક્હાનાની વાંસળી અધીર.
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

         - ડૉ. વિવેક મનહર ટેલર

અન્ય રચનાઓ

  • ડૉ. વિવેક મનહર ટેલર – એવો પત્થર વિશ્વમાં મળશે નહીં
  • ડૉ. વિવેક મનહર ટેલર – છૂટ છે તને
  • ડૉ. વિવેક મનહર ટેલર – કુંવારી નદીની તરસ
  • ડૉ. વિવેક મનહર ટેલર – ગઝલ
  • ડૉ. વિવેક મનહર ટેલર – નહિ રૂઠું
  • ડૉ. વિવેક મનહર ટેલર – મને આ સફર મળે
  • ડૉ. વિવેક મનહર ટેલર – મળતી રહે
  • ડૉ. વિવેક મનહર ટેલર – રોજ
  • ડૉ. વિવેક મનહર ટેલર – શબ્દ
  • (Dr. Vivek Tailor – Jamuna na Jaal. Kavita / Geet in Gujarati. Literature and art site)

    જય ભટ્ટ – કાવ્યભાવ

    December 23rd, 2009

    કવિતા મનના સુંદર ભાવોને શબ્દોમાં અંકિત કરે છે. જે કવિતા લખી શકે છે, સમજી શકે છે, અનુભવી શકે છે, લખવાનો પ્રયાસ કરે છે, અને કાવ્યમાં નિરૂપાયેલા ભાવોને આત્મસાત કરી શકે છે તેના પ્રેમ, લાગણી, ભક્તિ, કલ્પના, વિશ્વાસ, સુંદરતા, દર્દ, કે ગમ જેવા ભાવો હમેશા સાચા જ હોય છે. એમાં કૃત્રિમતા હોતી જ નથી. કલ્પના ઘણી વખત માનવીને નહી કલ્પેલા સુખનો અનુભવ કરાવી શકે છે. તેથી જ કાવ્યરસિકો કે લેખકોને સુખ શોધવા માટે આંધળી દોટ મુકવી પડતી નથી.

              – જય ભટ્ટ (Jay Bhatt – Kavya Bhav. Vicharp in Gujarati. Literature and art site)

    પંચમ શુક્લ – કોણે કીધું કે ગીત…?

    December 3rd, 2009

    કોણે કીધું કે ગીત પોચાં ને ગળચટ્ટાં જોઈએ?
    કોણે કીધું કે ગીત ઊર્મિથી લથબથતાં જોઈએ?

    ખાલી લોટામાં મૂકી કાંકરી હલાવો ને ઊઠે રણકાર એય ગીત;
    પાનીમાં ચૂભેલો કાંટો કાઢીને પછી ટશિયો ચૂમો તેય ગીત,
    કોણે કીધું કે આ વેદના ને ખાલીપા ખરબચડાં રાખવા જોઈએ?

    કોણે કીધું કે ગીત પોચાં ને ગળચટ્ટાં જોઈએ?
    કોણે કીધું કે ગીત ઊર્મિથી લથબથતાં જોઈએ?

    દોરે તેની ગાય જેવા શબ્દોને દોહી દોહી ચૂસે છે ગીતકારો ગીતને;
    મારા જેવા ગોપાલક, થાય તો ઉડાડે, આંચળ પર ચોંટી બગાઈને,
    કોણે કીધું કે આ વિયાયેલી વાણીનાં ખીરાની બળી બનવી જોઈએ?

    કોણે કીધું કે ગીત પોચાં ને ગળચટ્ટાં જોઈએ?
    કોણે કીધું કે ગીત ઊર્મિથી લથબથતાં જોઈએ?

    ૨-૧૨-૨૨૦૯
              – પંચમ શુકલ

    અન્ય રચનાઓ

  • પંચમ શુક્લ – એ હોય છે
  • પંચમ શુક્લ – ખગ-વિવર્ણ-ખેવના
  • પંચમ શુક્લ – ચક્કર નરાતાર…
  • પંચમ શુક્લ – યુનિકોડ ઉદ્યોગ
  • પંચમ શુક્લ – સંવનન એક ઉખાણું
  • (Pancham Shukla – Kone kidhu ke geet. Kavita in Gujarati. Literature and art site)

    સુધીર પટેલ – શોધે

    November 25th, 2009

    Sudhir patel

    જે નથી, એ જ તો બધાં શોધે;
    અવનવાં સુખની કલ્પના શોધે!

    એ જ વસ્તુ બધાને જીવાડે,
    જાણ છે એ નથી, છતાં શોધે!

    દુઃખ તો છે જરી પુરાણા સૌ,
    રોજ ચ્હેરા નવાં નવાં શોધે!

    પંખી ભૂલું પડ્યું છે શ્હેર વચે,
    બહાર જાવાની એ જગા શોધે!

    શ્વાસમાં લઈ હરેક જણ ‘સુધીર’,
    ગુમ થયેલી ખુલી હવા શોધે!

             - સુધીર પટેલ

    અન્ય રચનાઓ

  • સુધીર પટેલ – તત્પર થયો
  • સુધીર પટેલ – નમૂના જો
  • સુધીર પટેલ – મને જીવે
  • સુધીર પટેલ – યાત્રી આપશે
  • સુધીર પટેલ – સોનપરીને
  • (Sudhir Patel. Shodhe. Ghazal in Gujarati. Literature and art site)

    કૃષ્ણ દવે – શું ગાવું?

    November 20th, 2009

    ખળખળ વ્હેતા જળની વરચે ના સ્હેજેય ભીંજાવું? કહે પછી શું ગાવું?
    ભીતર છળે સાત સમંદર ને પથ્થર થઇ જાવું? કહે પછી શું ગાવું?

    આ ફૂલોના દેશ વચાળે ઓછું એમ જવાશે? આ મ્હેકનાં મોજાંઓમાં ઓછું એમ તરાશે?
    પતંગિયાંનો વેશ હોય ને રંગે ના રંગાવું? કહે પછી શું ગાવું?

    જીવનનું અણમોલ ગીત કંઇ ઓછું એમ ગૂંથાશે? ઝબકારા યે ફરી ફરી કંઇ ઓછા એમ જ થાશે?
    મોતીનો અવતાર હોય ને ડરી ડરી વીંધાવું? કહે પછી શું ગાવું?

    રહેરો દે પણ સ્મિત
    વિના કંઇ ઓછું એમ જ ચાલે?

    હોઠ હોય ને ગીત વિના કંઇ
    ઓછું એમ જ ચાલે?

    આંખ હોઇએ અને કહે તું સ્હેજે ના છલકાવું? કહે પછી શું ગાવું?

             - કૃષ્ણ દવે (Krushna Dave – Shu Gavu?. Kavita in Gujarati. Literature and art site)

    HINDUISM – SCIENTIFICALLY proven RELIGION

    November 8th, 2009

    Must see for every seeker of the Truth.

    It’s our moral responsibility that we work towards changing the history as it is ’still’ taught in India (Arya invasion, etc.).

    HINDUISM — SCIENTIFICALLY proven RELIGION (part 1 of 3)

    HINDUISM — SCIENTIFICALLY proven RELIGION (part 2 of 3)

    HINDUISM — SCIENTIFICALLY proven RELIGION (part 3 of 3)

    For more information visit Gosai.com

    સંદીપ ભાટિયા – માણસ જેવો માણસ

    October 20th, 2009

    માણસ જેવો માણસ ક્ષણમાં
    ધુમાડો થઈ જાય એ કંઈ જેવીતેવી વાત નથી.

    ઘરઘર રમતાં પળમાં કોઈ
    પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવીતેવી વાત નથી.

    વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ.
    કાચનદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.

    તારીખિયાને કોઈ પાને સૂરજ
    અટકી જાય એ કંઈ જેવીતેવી વાત નથી.

    હથેળીઓની વરચે એના ગુંજયા કરશે પડઘા,
    હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.

    ઘડી પહેલાં જે ઘર કહેવાતું
    દીવાલો કહેવાય એ કંઈ જેવીતેવી વાત નથી.

    સૂરજનો અજવાશ ગોખમાં દીવો થઈને થરકે.
    સ્તબ્ધ ભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.

    પાંપણ ઉપર દર્પણ જેમ જ
    ઘટનાઓ તરડાય એ કંઈ જેવીતેવી વાત નથી.

             -સંદીપ ભાટિયા (Sandeep Bhatiya – Manas jevo manas. Kavita in Gujarati. Literature and art site)

    વીર કરોડિયો ઝાડાવાળો

    October 19th, 2009

    દલપતરામ – વાંઢાની પત્નીઝંખના

    October 5th, 2009

    જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ;
    જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ, ૧

    મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;
    હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, ૨

    અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી;
    પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી, ૩

    ઢેઢ ચમાર ગમાર ઘણા પણ, પરણેલા ઘરબારી;
    એ કરતાં પણ અભાગીયો હું, નહિ મારે ઘેર નારી, ૪

    રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું;
    મેં તો જન્મ ધરી એવું સુખ, સ્વપ્નમાં નહિ દીઠું, ૫

    મુખના મરકલડાં કરિ કરિને, જુએ પતિના સામુ;
    દેખી મારૂં દિલ દાઝે ને, પસ્તાવો બહુ પામું, ૬

    વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે;
    અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે, ૭

    ચૌટેથી ચિતમાં હરખાતો, ચાલ્યો ચાલ્યો આવે;
    બાળક કાલું કાલું બોલી, બાપા કહિ બોલાવે, ૮

    પુત્ર પુત્રીને પરણાવે, વ્રત ઉદ્યાપન વેળા;
    હોમ કરે જોડે બેસીને, ભાળે જન થઈ ભેળા, ૯

    અરે એવા પુરુષોએ મોટાં, પુણ્ય કર્યા હશે કેવા;
    મેં શાં મોટાં પાપ કર્યા હશે, મળ્યા નહી સુખ એવાં, ૧૦

    મૂરખ જેવાનાં મંદિરમાં, નિરખી બે બે નારી;
    અરે વિધાત્રી અભાગણી, આતે શી બુધ્ધિ તારી, ૧૧

    અહો મિત્ર મારા સંકટની, શી કહું વાતો ઝાઝી;
    વિશ્વ વિષે પુરુષોના વૈભવ, દેખી મરૂ છું દાઝી. ૧૨

              – દલપતરામ (Dalpatram – Vandha ni patni jankhana. Kavita, Lok Sahitya in Gujarati. Literature and art site)

    ગૌરાંગ ઠાકર – એક જણ

    October 1st, 2009

    પાંદડું તાળી પવનને આપે છે,
    ઝાડ પર જાણે રાસ લાગે છે.

    સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
    એક જણ કેમ ખાસ લાગે છે?

           – ગૌરાંગ ઠાકર (Gaurang Thakar- Ek jaan . Vicharo, Shayari in Gujarati. Literature and art site)

    ક્રાન્તિબીજ – પોતાની રીતે જીવવું એ એક સાધના છે

    September 28th, 2009

    ઘણીવાર હું પોતે જ મને સમજી શકતો નથી. ક્યારેક તો હું પોતેય મારી સામે મોટા એક પ્રશ્નચિહ્ન જેવો લાગું છું. મારી બાબતમાં હું કશું જ જાણતો નથી કોઈ બીજાએ મારા વિશે જે ધારણાઓ કરી છે કે પરિસ્થિતિએ મારી જે ઓળખ ઊભી કરી છે તે શું મારો ખરો પરિચય બની શકે ? સાવ પ્રામાણિક રીતે કહેવું હોય તો મારે સ્વીકારવું જોઈએ કે બીજાઓ મારા વિશે જે માને છે તે પણ હું નથી. એ એમની ધારણા છે. મારા કરતાં એ એમનો પોતાનો પરિચય ગણી શકાય.

    કોઇ મને સારો માણસ માને છે. અને હું જાણું છું કે એમની એ માન્યતા પણ એકદમ સાચી નથી. કેમ કે મારી અંદર કેટલુંક એવું પણ છે જે એમના ઘ્યાનમાં આવ્યું ન હોય. જ્યાં સુધી એમની દ્રષ્ટિ જાય ત્યાં સુધી તો પ્રકાશ ફેલાયેલો લાગે પણ જ્યાં એમની નજર નથી પહોંચતી એવા અંધકારભર્યા ખૂણા અને ભંડકિયા પણ મારી અંદર મોજૂદ હોઇ શકે છે. કેટલાકને હું સારો લાગું છું, તે મારી પોતાની સારપના કારણે નહીં પણ એ પોતે જ સારા હોવાથી ‘દ્રષ્ટિ એવી સૃષ્ટિ’ મુજબ, મારામાં સારૂં જોવા માટે જાત સાથે પ્રતિબદ્ધ છે.
    Read the rest of this entry »

    દેવકૃષ્ણ પીતાંબર જોશી – એક સાક્ષરને એવી ટેવ

    September 27th, 2009

    એક સાક્ષરને એવી ટેવ, પુસ્તક એટલા પૂજે દેવ;
    અક્ષરે અક્ષરે કરે વિચાર, વાક્યે વ્યાકરણનો વ્યાપાર;
    લીટીઓ વાંચે ને લપ કરે, વેણ ચીપી ચીપી ઉચ્ચરે.

    જ્ય્હાં ત્ય્હાં કય્હાંનાં કૌતક કરે; નોંધ લઈ ડાયરીઓ ભરે.
    કવન કવે તે જ્યાંત્યાં લવે, જેમ ફાવે એમ ગોઠવે,
    ગણે માત્રા ને અક્ષરમેળ, કરે પિંગલડિંગલના ખેલ.

    સીધું પડે તો સુતર વહે, નહીંતર આડો મારગ લહે,
    સુણે સભા ને દોડ્યો જાય, વણબોલાવ્યો ઊભો થાય.
    લાંબી જીભે લબરકા કરે, વણસમજ્યો વિવેચન કરે.

    સુણે સૌ તો ધૂણે શીશ, નહીંતર મનમાં રાખે રીસ.
    પૂછે કોઈ કવિ સારો કોણ? વાતવાતમાં ઘાલે મોણ.
    નાનાલાલ? નનૈયો ભણે, નરસિંહરાવને કૈં ના ગણે!

    પ્રેમાનંદની કાઢે પોલ, દયારામ ભગતડા બોલ.
    નરસિંહને લાઘવનો લોભ, ભોજામાં વિનયનો ક્ષોભ.
    તુલસીદાસ? રજ નિજનું નથી, અખાની તો અવળી મતિ.

    નર્મદનો તો વ્યસની તોર, દલપત તો ખુશામતખોર!
    દુર્બળિયો કૌમુદીકાર, પાઠક ભટ્ટનો શો વિચાર?
    મેઘાણી ચારણિયો ચોર, રાયચુરા તો દુહાખોર!

    કવિનું બિરદ જાતે બકે, પોતે મોટો પોતા થકે.
    સર અવસર સંમેલન ભરે, નિજની શ્લાઘા સૌમાં કરે!
    તંત્રીની ખુશામત કરે, લેખ છપાતાં અધ્ધર ફરે.

    બે પૈસા બાપાના રહ્યા, તે સઘળા પોસ્ટેજમાં ગયા!
    બોલે બૈરી કપરા બોલ, આંકે કાણી કોડી મોલ.
    સાક્ષરથી નિરક્ષર ભલા, ધંધો કરી ઢીબે રોટલા!

           – દેવકૃષ્ણ પીતાંબર જોશી(Devkrishna Joshi – Aek Akshar ne aavi tev. Kavita / Poems in Gujarati. Literature and art site)

    સુધીર પટેલ – વ્હાલ શાથી છે?

    September 25th, 2009

    Sudhir patel

    કોઈ ખાલી અહીં તો કોઈ માલામાલ શાથી છે?
    ચમન છે એક તો ફૂલોનાં જુદા હાલ શાથી છે?

    બહુ મુશ્કેલ છે આડા પડી ઘા ઝીલવાનું, દોસ્ત!
    ઘણી તલવાર સામે સાવ ઓછી ઢાલ શાથી છે?

    દીસે છે એટલે બસ જિંદગી બોજા રૂપે કાયમ,
    અહીં સૌ આજ ઉઠાવીને ચાલે કાલ શાથી છે?

    નહીં સમજાય કારણ જ્યાં સુધી કરશો નહીં જાતે,
    કોઈને કોઈનાથી હદ વગરનું વ્હાલ શાથી છે?

    નથી સંબંધ એવો નામ જેને દઇ શકો ‘સુધીર’,
    છતાં કોઈને કોઈનો સતત બસ ખ્યાલ શાથી છે?

             - સુધીર પટેલ

    અન્ય રચનાઓ

  • સુધીર પટેલ – તત્પર થયો
  • સુધીર પટેલ – નમૂના જો
  • સુધીર પટેલ – મને જીવે
  • સુધીર પટેલ – યાત્રી આપશે
  • સુધીર પટેલ – સોનપરીને
  • (Sudhir Patel. Vahal shathi chhe. Ghazal in Gujarati. Literature and art site)

    સંદીપ ભાટિયા – ઘીના દીવાનું અજવાળુ

    September 20th, 2009

    કાચનદીને પેલે કાંઠે શબ્દ ઉભો અજવાળા લઈને
    થરથરતા હિમયુગોને છેડે સપનાઓ હુંફાળા લઈને
    કાચનદીને પેલે કાંઠે કોઈ આપણી રાહ જુએ છે
    ચાલ આંખમાં ભીનાશ લઈને
    છાતીમાં ગરમાળા લઈને
    કાચનદીને પેલે કાંઠે નામ ધૂંધળું ચહેરા ઝાંખા
    આ કાંઠે ચૂપચાપ ઉભો છું
    શ્વાસોની જપમાળા લઈને
    કાચનદીને પેલે કાંઠે કોની પહેલી તરસ પહોંચશે
    જલપરીઓની રાણી ઉભી હાથોમાં વરમાળા લઈને
    કાચનદીને પેલે કાંઠે ગણિત બધાંયે સાવ નકામા
    તરી ગયા એ શૂન્ય ઉંચકી ડૂબી ગયા સરવાળા લઈને
    કાચનદીને પેલે કાંઠે પાગલ પંખી માળો બાંધે
    ડાહ્યા લોકો ભેટ આપવા આવે કૂંચીતાળા લઈને

             -સંદીપ ભાટિયા (Sandeep Bhatiya – Ghee na diva nu aajvalu. Kavita in Gujarati. Literature and art site)

    ‘ઊર્મિ સાગર ’ – યાદમાં અટવાય છે કારણ વગર

    September 18th, 2009

    *

    ભર ઉનાળે
    વરસ્યો મેઘ… કોઈ
    કારણ હશે ?

    *

    કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
    લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.

    તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
    જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.

    એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
    ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.

    કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
    …પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.

    મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
    તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.

    -’ઊર્મિ’ (જાન્યુ. 2008)

              – ‘ઊર્મિ સાગર’

    અન્ય રચનાઓ

  • ‘ઊર્મિ સાગર ’ – એ મન હતું
  • ‘ઊર્મિ સાગર ’ – ઠોકર સુહાની દે
  • ‘ઊર્મિ સાગર ’ – બોલો પ્રભુ !
  • ‘ઊર્મિ સાગર ’ – ભૂલી શકું તો
  • ‘ઊર્મિ સાગર ’ – મજબૂર છું
  • ‘ઊર્મિ સાગર ’ – લાગણીનું વાંઝિયું ઝાડ
  • ‘ઊર્મિ સાગર ’ – સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?
  • (‘Urmi Saagar’- yaad ma aatavai chhe karan vagar. Ghazal in Gujarati. Literature and art site)