રુદન કોઇને ગમતું નથી છતાં રુદન પણ ખુશીની જેમ કયારેક કયારેક આવે છે ચોક્કસ. જીવનમાં હસીને જે મળતું નથી તે આંખથી ટપકતાં આંસુથી મળી જાય છે. મનને હળવું કરવા રુદનથી વધુ બીજો કોઇ હાથવગો ઉપાય નથી. હસતાં હસતાં પણ આંખો છલકી પડે છે.
જિંદગીનું ગણિત કેટલીક બાબતોમાં કિઠન બની જાય ત્યારે આંસુનો સરવાળો દર્દની બાદબાકી માટે સરળ માર્ગ સાબિત થાય છે. જીવનની સફરમાં રુદનના પ્રસંગો દરેક માટે બોજારૂપ હોતા નથી. ઘણી વાર રુદન, મન અને જીવનનો માર્ગ મોકળો કરવા નિમિત્ત પણ બને છે.
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે
રુદનમાં વાસ્તવિકતા છે, ને હસવામાં અભિનય છે
સૈફ પાલનપુરીએ જિંદગીનો પરિચય એ રીતે આપ્યો છે કે માણસ રુદનના સમયે વાસ્તવિક હોય છે, ને હસતી વખતે તે મોટા ભાગે અભિનય કરતો હોય છે. ઘણી વ્યકિતઓ આંસુને છુપાવવા પણ અટ્ટહાસ્ય કરી નાખતી હોય છે. આંખથી ટપકતાં આંસુમાં જ સાચી કહાણી ધબકતી હોય છે. હાસ્યમાં કહાણીનો કે જીવનનો મર્મ પકડાતો નથી. રુદનમાં વાસ્તવિકતા હોવાથી જિંદગીનો સાચો પરિચય અહીં સરળતાથી મળે છે.
હસતી હતી સદાય કળી, એય આજકાલ
ઝાકળની જેમ રોઇ પડે છે જરાકમાં
અમૃત ઘાયલે કળીના પમરાટને હસવા સાથે સરખામણી કરી છે. મોંસૂઝણુ પહેલાં ફૂલો પર ઝાકળ હોય તેમ હસતી કળી જાણે રડી પડતી હોય તેવું લાગે. જીવનમાં પણ હરહંમેશ સ્મિત ફેલાવતો ચહેરો કયારે ભીની આંખે રડી પડે તે ન કહેવાય. ઝાકળની જેમ આંસુનું પણ અલ્પ જીવન છે પણ જયારે બે આંખો છલકે છે ત્યારે ટપકતાં આંસુ અમાપ હોય છે. આંસુની કોઇ ગણતરી હોતી નથી. તેનો કોઇ ઝાકળની જેમ સવાર પહેલાંનો સમય પણ હોતો નથી. મન ભરાઇ આવે ત્યારે આંખ ભીની થાય છે.
જીવનનું ગણિત શૂન્ય ઉપર થૈ ગયું પૂરું,
હું થોડું હસ્યો થોડું રડયો થૈ ગયું સરભર
શેખાદમ આબુવાલાએ સરળ ભાષામાં જીવનનું ગણિત સમજાવ્યું છે. જયાં ખુશી અને ગમ સરભર થૈ જાય ત્યાં જીવન પૂરું થયું સમજી લેવું. આ સરભર થયેલું જીવન શૂન્ય પણ હોઇ શકે. દરેકની જિંદગીમાં ખુશીના અને રુદનના પ્રસંગો ચલચિત્રની જેમ બદલતા હોય છે. ખુશીના પ્રસંગોએ પણ આંખો છલકી પડે, પણ રુદનના સમયે તો હાસ્યને હંમેશાં બહારવટો જ ભોગવવો પડે.
હું રડું છું દિવસથી રાત સુધી એમને જાણ હોય તો સારું
મનહર મોદીએ જુદી વાત કરી છે. જેના માટે દિવસથી રાત સુધી આંસુ છલકાવો તેની એમને જાણ છે ખરી? એ વાત અલગ છે કે રડતાં રહો ને કોઇ આશ્વાસન પણ નહીં મળે. ઘણી વાર જેના માટે દર્દથી આંખો ભીની થઇ હોય, તેને તો આપણી ખબર પણ નહીં હોય. રુદનમાં કોઇનો સાથ મળતો નથી. હાસ્યમાં સંગાથ મળે, પણ રુદન તો એકલાએ જ સહેવું પડે. રુદનથી મન હળવું થાય છે પણ એ ખુમારી ગુમાવીને થવું ન જોઇએ.આંસુઓ છલકે ત્યારે પણ આંખોમાં ખુમારી અકબંધ હોવી જૉઇએ.